શિવરાત્રિના ફળાહાર માટે રાજા શક્કરીયાં-બટાકાનું બજારમાં આગમન
શિવરાત્રી આડે બે દિવસ બાકી છે, ત્યારે શિવરાત્રી પર્વ ઉપર ખૂબ ખવાતા શક્કરીયા-બટાટાનો નવો જથ્થો બજારમાં આવી ગયો છે. શિવભક્તોમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ઉપવાસ અને એકટાણું કરી ફળાહાર તરીકે બાફેલાં શક્કરીયા બટાટા ખાવાનો મહિમા છે. જેથી શિવરાત્રી પર્વ ઉપર શક્કરીયા બટાટાની માંગને પહોંચી વળવા માટે વેપારીઓ અગાઉથી જ સ્ટોક કરી લેતાં હોય છે. ચરોતરના ચકલાસી અને મલાતજના બટાટા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. આ બે ગામો ઉપરાંત બટાટાની ખેતી ખેડા, આણંદ જિલ્લાના અનેક ગામોમાં થાય છે. બટાટાનો સંગ્રહ કરવા માટે ચકલાસી, કણજરી, ઉત્તરસંડા, બોરીઆવી સહિતના ગામોમાં અનેક કોલ્ડ સ્ટોરેજ અસ્તિત્વમાં આવ્યા છે.
જ્યારે ખંભાત તાલુકાના ઉંદેલના શક્કરીયા ચરોતરમાં પ્રખ્યાત છે. ઉંદેલની આજુબાજુના પોપટપુરા, વાડોલ, કલોદરા વગેરે ગામોના ખેડૂતો પણ શક્કરીયાની ખેતી મોટાપાયે કરે છે. હાલમાં શક્કરીયાનો પાક તૈયાર થઇ ગયો છે અને ખેડૂતો ખેતરમાંથી શક્કરીયા કાઢી વેચાણ અર્થે બજારમાં લાવી રહ્યા છે. શિવરાત્રી પર્વ અને ત્યારબાદ પણ શક્કરીયાનું વેચાણ ચરોતરના બજારમાં થશે. આણંદ જિલ્લામાં ૧૫૦૦થી વધુ હેક્ટરમાં બટાટા અને બે હજારથી વધુ હેક્ટરમાં શક્કરીયાની ખેતી આ વર્ષે ખેડૂતો દ્વારા કરવામાં આવીછે. અને હેક્ટરે ૧૨૫થી ૧૫૦ મણનો ઉતારો મળી રહ્યો છે. માર્કેટમાં છૂટકમાં બટાટા રૂપિયા ૧૫ થી ૨૦ અને શક્કરીયા છુટકમાં રૂ.૩૦ થી ૪૦માં મળી રહ્યા છે. શેરી મહોલ્લામાં બટાટા, શક્કરીયા ભરીને આવતા નાનાં ખેડૂતો અને વેપારીઓ પાસેથી લોકો શિવરાત્રીને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.